વારી ગયા

November 19, 2009

તમારા પ્રેમની ચોપાટમાં લો,ચાંદ પણ હારી ગયા;
ને જાત કોરાણે મુકી આખી ય પરબારી ગયા.

હજારો સૂર્ય ઓગાળી બનાવ્યો એક પડછાયો,
અને એ એટલો નક્કર થયો,કે જાત પર વારી ગયા.

તમારા એક હિસ્સાની હજુયે સાંજ રાખી છે;
અને હમણાં જ ઠંડાગાર હાથો તાપણું ઠારી ગયા.

હથેળીમાં ઘણાં બરછટપણાનાં વન ઉગાડ્યાં છે;
સમયનાં દોરડાં સાલ્લાં છતાં આબાદ પડકારી ગયા.

હજુ ’ફિરદૌસ’!આજે પણ નથી છાંડી ખુમારી પણ,
બધા એ રોફ સરકારી ગયા,એ ઠાઠ દરબારી ગયા.

કા કરું સજની

November 15, 2009

સુરમયી અખિયોંમેં

November 13, 2009

gori tera gaon bada pyara-a song from yesudas show

November 12, 2009

ગત તા.૧૧મી નવેમ્બર ૨૦૦૯ ના રોજ ભાવનગરના યશવંતરાય નાટ્યગ્રૂહ માં યોજાયેલ કાર્યક્રમ ’મધુબન ખુશ્બુ દેતા હૈ’ નો આ એક અંશ છે.આશા છે આપને પસંદ પડશે.ગાયક ડો.દેખૈયા,અને સંચાલક ડો.નિમિત ઓઝા

છૂંદણાંનો મોર કરી રાખું

November 12, 2009

આવો તો સાજણ,છૂંદણાંનો મોર કરી રાખું.

જીવતરના વગડામાં આવી મળો જો તમે-
શબરીનાં બોર જેમ ચાખું.
…છૂંદણાંનો મોર કરી રાખું.
આવો તો સાજણ,
સમદરની છોળ્ય જેમ ભળીએ;
આવો તો સાજણ,
અવની ને આભ જેમ મળીએ-
એકાદું વેણ-શેણ પાળવાનું હોય તો
આયખાની હોડ બકી નાખું.
…છૂંદણાંનો મોર કરી રાખું.

આવો તો સાજણ,
પૂનમનું પાનેતર ઓઢું,
આવો તો સાજણ,
ચંદરથી રૂપ કરું દોઢું;
વાવડિયા મોકલો જો આવવાની દશ્યુંના તો ;
ઉગાડું અંગ-અંગ પાંખું.
…છૂંદણાંનો મોર કરી રાખું.

આવો તો સાજણ,
અષાઢી આભ જેમ વરસું,
આવો તો સાજણ,
વૈશાખી ભોમ જેમ તરસું;
આખો અવતાર સંગ કાઢવાની વાત તોયે-
શું રે પડે છે હવે વાંકું?
…છૂંદણાંનો મોર કરી રાખું.
(ટહુકો)

-ઇસુભાઇ ગઢવી

સવાલો હોય છે

November 11, 2009

‘સરખી જ સૌની છે સુરા,સરખો જ પ્યાલો હોય છે’;
કેવા નશામાં દોસ્તના યે ઉચ્ચ ખ્યાલો હોય છે!

ઊંચો થઈને એમના મોટા ગજાની પાર જો,
એ એકની પાછળ ઘણાયે પાયમાલો હોય છે.

એ ક્યારનો ઊભો અહીં,દેવું જ હો,દે સત્વરે,
એ આદમીની આંખમાં અઢળક સવાલો હોય છે.

સ્વર્ગીય છે વરદાન,પણ દુનિયા મહીં શું ભોગવું?
આપી ગઝલ,ને એ છતાં કેવી બબાલો હોય છે!

છોડો,નહીં આવી શકે અવરોધ પાડીને અહીં,
ફિરદૌસ! એની કેટલી મોંઘી દિવાલો હોય છે!

તબીબોની કોન્ફરન્સ

November 10, 2009

તબીબોની બેઠક મળી છે ને આજે ખરેખરનો મુદ્દો ઉપસ્થિત થયો છે,
વગર દિલના માણસનું વર્ગીકરણ શું?અને એમ કહેવું કે ગુજરી ગયો છે?

ગણો રોગ એને તો કારણ શું એનું?જો કારણ મળે તો નિવારણ શું એનું?
કયા લક્ષણોથી નિદાન એનું કરવું?અને કેટલો રોગ પ્રસરી રહ્યો છે?

વગર દિલના માણસની સાબિતી શું છે?વગર દિલના માણસની માહિતી શું છે?
કોઈ સંશોધનમાં છે ઉલ્લેખ એનો? કોઈને કોઈ કેસ એવો જડ્યો છે?

હતા એ બધાયે નિરાળા તબીબો,અતિસંવેદનશીલ શાણા તબીબો,
નહીંતર કદી આવા પ્રશ્નોને ક્યાંથી પ્રતિભાવ આવો કદી સાંપડ્યો છે?

દલીલો ઘણી થઈ તબીબોની વચ્ચે ,પ્રથમ તો ઘણાએ કર્યો પ્રશ્ન એવો,
સદા શ્વાસ લે છે,હરે છે,ફરે છે ,અને એમ કહેવું કે માણસ મર્યો છે?

હતા સંમેલનમાં ય એવા ઘણાયે,હતો નાતો જેઓને સાહિત્ય સાથે,
સમજતા હતા એ સ્થિતિનું પ્રયોજન,સમજતા હતા પ્રશ્ન સાચો કર્યો છે.

કહ્યું એમણે કે,હ્રદયનું ધબકવું એ ભૌતિક નથી ફક્ત,એથીય પર છે;
નહીં કાર્ડીયોગ્રામ એના મળે કંઇ,નથી કંઇ પુરાવોય એનો મળ્યો છે.

પરંતુ ખરેખર જે માણસ બીજા માનવીની જરૂરતને સમજી શકે ના,
ભલે શ્વાસ લે છે,હરે છે ફરે છે ,પરંતુ ન સમજો કે જીવી રહ્યો છે.

કદી ના હસે તે વગર દિલનો માણસ,કદી ના રડે તે વગર દિલનો માણસ;
કશું ના અડે તે વગર દિલનો માણસ,નહીં લાગણીથી કદી પાંગર્યો છે.

નથી જાણતા કોઈ કારણ સ્થિતિનું,નથી કોઈ ચોક્કસ નિવારણ સ્થિતિનું,
ફકત લક્ષણોથી નિદાન એનું કરવું,ફકત જાણવું કે એ ગુજરી ગયો છે.

રહ્યા સાંભળી જે સભામાં તજજ્ઞો,એ બોલી ઉઠ્યા ,છે ખરે રોગ વ્યાપક
હશે એમ તો લ્યો,કરો સૌ સમાપન,તને પણ થયો છે,મને પણ થયો છે.!!!

-ડૉ.ફિરદૌસ દેખૈયા

પ્રકરણ જોઈએ

October 25, 2009

જીંદગીમાં કો’ક વળગણ જોઈએ;
સાવ સાદું એક પ્રકરણ જોઈએ.

છે મજાની મસ્ત ચાલે જીંદગી,
એટલા માટે પળોજણ જોઈએ.

બેઉની દ્રષ્ટિ ખરેખર એક હો,
બેઉ પાસે એક સમજણ જોઈએ.

રક્તમાં પૂરેપુરૂં વ્યાપી રહે;
સ્વસ્થ એવું એક સગપણ જોઈએ.

એમ આ દુનિયા મહીં ખ્યાતિ રહે,
આપ વિષે કંઈક ચણભણ જોઈએ.

સાવ ધોળા ધફ્ફ ભાંગે દીવસો,
રંગવાને એક ફાગણ જોઈએ.

કેટલી ઈશ્વર વિશે ચર્ચા હતી;
એ બધીનું એક તારણ જોઈએ.

કેમ પ્રેમીની કથા નિષ્ફળ રહી;
સાવ સાચું એક કારણ જોઈએ.

છાપ આ ‘ફિરદૌસ’ની દુનિયા મહીં,
દેખવાને એક દર્પણ જોઈએ.

my programme of yesudas

September 24, 2009

yesu

my new video

September 16, 2009

dhoop chhaya shu jay vilatu:lyricist:bhaskar vora,composer:harihar kapdi(bhavnagar)